Posts Tagged “સુંદરી”
ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day) – May, 2018
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on May 18, 2018
ગુજરાત ગૌરવ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે એરિયા ના ગુજરાતીઓએ ગુજરાતી ભાષાને, ગૌરવવંતા ગુજરાતીઓને, અને ગુજરાતી સાહિત્ય, કલા અને કલાકારોને એક સુંદર કાર્યક્રમમાં વણીને ખુબજ સુંદર કાર્યક્રમ રજુ કર્યો તે માટે સહુ પ્રસ્થિત મહાનુભાવોનો અને સાથીઓનો આભાર. . શ્રી સુરેશમામા મામી, માનનીય પ્રતાપભાઈ, રમાબેન, મનીષાબેન અને નરેન્દ્રભાઈ જેવા મહાનુભાવોના સહકાર અને પ્રોત્સાહન વગર તેમજ રઘુભાઇ, કલ્પનાબેન, રાજેશભાઈ વગેરે પ્રેણનાપૂરક કાર્યકર્તાઓ વગર શક્યજ નથી અને તેમને અંતરથી બે એરિયાના બધાજ ગુજરાતીઓ વતી ખુબ ખુબ આભાર. ગુજરાત ગૌરવ દિવસ નિમિતે જે કાર્યક્રમ શ્રોતાઓ સમક્ષ પેશ કરવામાં આવે છે તેનો મોટો જશ હું પ્રજ્ઞાબેન દાદભાવાળા ને આપું છું.
તેમણે કેટલાયનો ભારત સુધી સંપર્ક સાધી ને આ કાર્યક્રમ માટે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું છે. તેમાં ખાસ આભાર આપીએ શ્રી ચંદ્રકાન્તભાઈ શાહને (જે “માસ્ટર ફૂલમણિ” ના લેખક છે અને આ કાર્યક્રમ માટે સ્ક્રીપટ સાથે તેમના જુના ગીતો રજુ કરવાની પરવાનગી સાથે ખુબ સહકાર આપ્યો), વિનયકાન્તભાઈ દ્વિવેદીને (જે જૂની રંગભૂમિના ચેતન સ્વરૂપ નાટ્ય મહર્ષિ કવિશ્રી પ્રભુલાલભાઈ દ્વિવેદીના દીકરા છે અને તેમણે પ્રજ્ઞાબેન જોડે પોતે જોયેલ જૂની રંગભૂમિ ના સંભારણા તાજા કરીને માર્ગદર્શન આપ્યું) અને ઉત્કર્ષભાઈ મજમુદાર (જેમણે પ્રજ્ઞાબેનને પોતાના અનુભવનો નિચોડ કરીને ખુબ માર્ગદર્શન આપ્યું). પ્રજ્ઞાબેને સુકાન તો સાંભળ્યું પણ છેટ ભારત થી કેલિફોર્નિયા સુધી તેમને ઘણા મહાનુભાવો એ વિવિધ પ્રકારનો સાથ આપ્યો અને તેનું પરિણામ આ બે એરિયામાં જૂની રંગભૂમિ તાજી કરીને બનેલો શ્રેષ્ઠ કાર્યક્રમ.
આ વર્ષે તેમણે અથાગ મહેનત થી અને બે એરિયાના કુશળ કલાકારોની મદદ થી જૂની રંગભૂમિના નાટક અને કલાકારોને જીવંત કર્યા અને પ્રેક્ષકોને મનોરંજન સાથે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ પીરસ્યો. પ્રજ્ઞાબેન ની મહેનત ને લીધે દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસે ગુજરાતી સાહિત્ય અને કલા ની નવી સમજણ બે એરિયાના પ્રેક્ષકો ને મળે છે.
તમને ખબર છે કે ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિ શરુ કરવાનો જશ મુંબઈ ના પારસીઓને જાય છે? દર્શનાબેન ભૂત્તા શુક્લા અને નરેન્દ્રભાઈ શુક્લા એ પારસી યુગલ તરીકે પારસી રંગમંચ વિષે વાતો કરી તે સાંભળતા લોકો હસી હસીને ઢગલા થઇ ગયા. 1853 માં દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ફરામજી ગુસ્તાદજી દલાલ ના સંચાલન હેઠળ પારસી નાટક મંડળી સ્થપાઈ અને “રુસ્તમ સોહરાબ” નામનું પહેલું નાટક રજુ કરવામાં આવેલ તેમાં રુસ્તમ ના પાત્ર એ અસલી ઘોડા પાર એન્ટ્રી મારેલ।
જૂની રંગભૂમિના નાટકો જ નહિ પણ તેના ગીતો પણ ખુબ પ્રચલિત થઇ ગયેલા અને પ્રેક્ષકો તેમને મહિનાઓ સુધી ગણગણતા. માધવીબેન અને પ્રજ્ઞાબેને જૂની રંગભૂમિની મજાની વાતો ભપકા અને રમૂજ થી પ્રસ્તુત કરી અને સાથે સાથે માધવીબેન અને અસીમભાઈએ તેના ગીતો પીરસીને પ્રેક્ષકોના મન જીતી લીધા.1944 ના સાલ માં “વીર પસલી” નામનું નાટક ભજવાયું ત્યારે લોકો એ નાટક પાછળ ઘેલા થઇ ગયા હતા. મુંબઈ થી વડોદરામાં એ નાટક જોવા માટેની સ્પેશ્યલ ટ્રેન દોડતી જેના ડબ્બા ઉપર નાટક નું નામ લખવામાં આવતું. અચલભાઈ અને આનલબેન અંજારિયા એ નાટકનું સુંદર ગીત “પ્રેમીને પ્રેમી કોઈ પૂછે કે નયનોમાં શું છે, તું છે” ભજવીને પ્રસ્તુત કર્યું.
બાળક જયશંકર નો નાટક પ્રત્યેનો અત્યંત પ્રેમ જોઈને એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠુઠ્ઠી નામના શેઠે જયશંકરના માતા પિતા સામે પ્રસ્તાવ મુક્તયો કે “તમારો છોકરો મને સોંપી દ્યો। તેનામાં રહેલ હીર હું પારખી ગયો છું અને તેને હું કલાકાર બનાવીશ”. ઊંચી રકમની ઓફર જોઈને આખરે માતા પિતા માની ગયા અને જયશંકર કલકત્તા માટે રવાના થયા. જયશંકર જી એ આગળ વધીને “સુંદરી” નામે ગુજરાતી રંગભૂમિ ઉપર સ્ત્રી પાત્રો ભજવીને ગરવી ગુજરાતણને રંગભૂમિ ઉપર એટલી સુંદર રીતે સજીવ કરી કે તેમના સ્ત્રી પાત્ર પાછળ પ્રેક્ષકો પાગલ થઇ જતા. તેવાજ પાગલ બે એરિયાના પ્રેક્ષકો ICC માં અમરીશ દામાણી ના સ્ત્રી પાત્ર ઉપર થઇ ગયા. તેમના સ્ત્રી જેવાજ હાવભાવ, કપડાંની ઢબ અને લહેકાઓ અને નખરા જોઈને કોઈ એક પળ પણ હાસ્યને રોકી શકે નહિ. આફ્રિન!!
સાલ 1927 માં ભજવાયેલ “વલ્લભીપતી” નામના નાટક નું સુંદર અતિ લોકપ્રિય અને મીઠી સ્ત્રીહઠ દર્શાવતું ગીત “ઝટ જાઓ ચંદનહાર લાઓ, ઘૂંઘટ નહિ ખોલું હું” જયારે પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ખુબ નખરા સાથે ઘૂંઘટ ઓઢીને નરેન્દ્રભાઈ શાહ સાથે ભજવ્યું ત્યારે દરેક પ્રેક્ષકો તે ગીત ગણગણવા લાગ્યા. હેતેઅલબેન બ્રહ્મભટે “નાગરવેલયો રોપાવ તારા રાજ મહેલોમાં” અને માધવીબેન મહેતાએ “મીઠા લાગ્યા આજના ઉજાગરા” અને ગીતાબેન અને સુભાષભાઈ ભટ્ટે “સાયબો મારો ગુલાબનો છોડ, હું તો વેલી લવંગની” ભજવ્યા ત્યારે એમ થયું કે જાણે ગુજરાતી સંગીતનો લ્હાવો લેતાજ રહીએ। ને ગરબો ગવાયો ત્યારે તો ગુજરાતણ બેઠી જ કેમ રહી શકે?
તમે જો આ પ્રસંગ કોઈ પણ કારણસર બે એરિયા માં હોવા છતાં ચુકી ગયા હો તો મેં તેમાંનો થોડો ઇતિહાસ વણીને અને થોડા ફોટો મૂકીને અમે માણેલા મધુર દિવસની થોડી ઘણી મીઠી ક્ષણોને અહીં પ્રસ્તુત કરી છે. ફરી ફરીને હું ભલામણ કરીશ કે તમે આપણા એકદમ વ્યસ્ત બે એરિયા માં કોઈપણ પ્રસંગ ચુકો તો પણ બની શકે તો ક્યારેય ગુજરાત ગૌરવ દિવસ નો પ્રસંગ ચુકતા નહિ. અને પ્રજ્ઞાબેન આયોજન કરે છે ત્યાં સુધી તો નહીંજ ચુકતા. I am Pragnaben Dadhbhawala’s shameless fan. એમનું ગુજરાતી ભાષા અને સાહિત્ય માટેનું સમર્પણ, તેમની વિવિધ કલા અને તે ઉપરાંત કળાની પરખ અને વિવિધ કલાકારોને એક છત્ર નીચે ભેગા કરીને દરેકની કુશળતાને યૌગ્ય રીતે પેશ કરીને દર્શાવવાની અને તે બધામાં પ્રેક્ષકોના મનોરંજન માં તલભરની કમી ન રહે તે રીતે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવાનું તે તેમની કુશળતા ઉપર હું આફ્રિન છું.
Reader Comments