Archive for category Gujarati: Fiction-Poems-Essays-Events

Gujarati: કોઈપણ દેશમાં સલમાન રુસ્ડીના પુસ્તક સેટેનિક વર્સીસ પર પ્રતિબંધ મુકાયો હોય તે નાબૂદ કરવો જોઈએ


ઇતિહાસમાં પ્રગતિ અનેકવાર કલમ ​​સાથે જોડાયેલી હોય છે. પરંતુ લેખકોને  વારંવાર ભયંકર પડકારોનો સામનો કરવો પડતો હોય છે. 1600 ના દાયકામાં ગેલિલિયો ને મોત ની સજા ફરમાવવામાં આવી હોત અને તેના પર પાખંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચર્ચ દ્વારા તેના લખાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તે ચર્ચને માન્ય નહોતું. સન1958 માં, અલાબામામાં, બાળકોના પુસ્તક, “રેબિટના લગ્ન” પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે લગ્ન કાળા સસલા અને સફેદ સસલાની વચ્ચે થઈ રહ્યા હતા અને કેટલાક લોકોને ભય હતો કે આ સુંદર બાળકોના પુસ્તક થી પ્રેરિત થઇ અને કાળા અને ધોળા લોકો પણ લગ્નનો વિચાર કરવા માંડશે. 1988 માં, સલમાન રુશડિ ની નવલકથા શેતાનિક વેર્સેસ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ ધર્મની ટીકા કરતી હોવાનું માનવામાં આવ્યુ હતું.

ઇતિહાસમાં પ્રગતિ અનેકવાર કલમ ​​સાથે જોડાયેલી હોય છે. પરંતુ લેખકોને  વારંવાર ભયંકર પડકારોનો સામનો કરવો પડતો હોય છે. 1600 ના દાયકામાં ગેલિલિયો ને મોત ની સજા ફરમાવવામાં આવી હોત અને તેના પર પાખંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચર્ચ દ્વારા તેના લખાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તે ચર્ચને માન્ય નહોતું. સન1958 માં, અલાબામામાં, બાળકોના પુસ્તક, “રેબિટના લગ્ન” પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે લગ્ન કાળા સસલા અને સફેદ સસલાની વચ્ચે થઈ રહ્યા હતા અને કેટલાક લોકોને ભય હતો કે આ સુંદર બાળકોના પુસ્તક થી પ્રેરિત થઇ અને કાળા અને ધોળા લોકો પણ લગ્નનો વિચાર કરવા માંડશે. 1988 માં, સલમાન રુશડિ ની નવલકથા શેતાનિક વેર્સેસ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ ધર્મની ટીકા કરતી હોવાનું માનવામાં આવ્યુ હતું.

વાણી અને કલમની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવું જરૂરી છે. મને લાગે છે કે ખરાબ રીતે લખાયેલ પુસ્તકો અથવા દૂષિત ઈરાદા સાથે લખાયેલ પુસ્તકો ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં. આપણે પણ એજ ઇચ્છીયે ને કે લોકો તેમની નિરાશાને ખરાબ કાર્યો ની બદલે પેન વડે વ્યક્ત કરે? અન્ય લોકો પણ વિવેચન, લેખ અથવા પુસ્તકો દ્વારા તેમના ઉપર વિવેચન અથવા ટીકા વ્યક્ત કરી શકે છે પણ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવો તદ્દન યોગ્ય નથી. સમગ્ર વિશ્વએ સાથે મળીને સાફ સંદેશ મોકલવાની જરૂર છે કે જો કોઈ વ્યક્તિનું લખાણ પસંદ ના આવે તો તેને લીધે લેખકોને નુકશાન પહોંચાડી શકાય નહિ અને કોઈ તેવું કરે તેની જોરદાર સજા તેવી વ્યક્તિઓને મળવી જોઈએ. ભારતે સલમાન રશ્દીના પુસ્તક સેટેનિક વર્સીસ ઉપરથી તાત્કાલિક પ્રતિબંધ નાબૂદ કરવો જોઈએ અને અને દરેક વ્યક્તિના લખાણ અને ભાષણની સ્વતંત્રતાના અધિકાર ઉપર ભાર મૂકવો જોઈએ. જો કોઈ આ પુસ્તક વિશે જાણવા માંગતા હોય તો તેમને માટે નીચેની માહિતી લખેલ છે. 

પુસ્તકને સાહિત્યિક વિવેચકો તરફથી અનુકૂળ સમીક્ષા મળી છે. સન 1988માં આ પુસ્તકની ગણના બુકર પ્રાઈઝ ફાઇનલિસ્ટ માં થયેલી, સન 1988 માં આ પુસ્તકે વ્હાઇટબ્રેડ એવોર્ડ જીતેલ અને પ્રતિભાશાળી વિવેચક હેરોલ્ડ બ્લૂમે આ પુસ્તક ને “રશ્દીની સૌથી મોટી સૌંદર્યલક્ષી સિદ્ધિ” તરીકે નવાજ્યું હતું. આ પુસ્તક એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરનારાઓ ના માર્ગમાં આવતી અડચણો અને અગવડતાઓ ઉપર લખાયેલ છે. એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરનારાઓને તેમની ઓળખ થી લઈને તેમની રુચિઓ, સિદ્ધાંતો,  પ્રેમ, મૃત્યુ, ધર્મ વગેરે ની પરિભાષા ના બદલાવના પડકારને ઝીલવો પડે છે. એમ પણ કહી શકીએ કે રશ્દીનું આ લખાણ તેમની પોતાની બદલાતી ઓળખ ઉપર લખાયેલ છે. રશ્દીએ પોતે પુષ્ટિ કરી છે કે આ પુસ્તક ઇસ્લામ વિશે નથી,” પરંતુ તેમના સ્થળાંતર, મેટામોર્ફોસિસ, બે ભાગમાં વેંચાયેલ તેમના જીવન, લંડન અને બોમ્બે ના તેમના અનુભવને અનુલક્ષીને લખાયેલ છે.”    ધર્મના સંદર્ભો સ્પર્શક અને કાલ્પનિક છે. પણ કદાચ આ લખાણ લેખકની અંગત માન્યતાઓ તરફ આંગળી ચીંધે તો પણ કોઈ લેખકની વ્યક્તિગત માન્યતાઓ અલગ હોવાના લીધે તેમને જાનહાની પંહોંચાડવી બિલકુલ યોગ્ય નથી. 

, , ,

Leave a comment

નાટો શું છે, શા માટે જરૂરી સંસ્થા બની રહી છે – NATO in #Gujarati


મેં ભારતમાં થોડા લોકો સાથે વાત કરી અને એવું લાગ્યું કે તેઓ યુક્રેન પર રશિયાના આક્રમણ માટે નાટોના વિસ્તરણને દોષી ઠેરવે છે. નાટોના વિસ્તરણને દોષિત ઠેરવતા પહેલા નાટો વિષે માહિતી જાણવી અગત્યની છે. 

ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) ની રચના, બીજા વિશ્વ યુદ્ધ પછી થયેલ. અને મારા મત અનુસાર સમગ્ર માનવતા માટે એક વિશિષ્ટ ઘટના બની. અલબત્ત તેને લીધે અમુક રાષ્ટ્રો માટે ફાયદા અને બીજા માટે ગેરફાયદા હોય શકે પરંતુ સમગ્ર માનવતા માટે, ઘાતક બીજા વિશ્વયુદ્ધ પછી મૂળ 12 સભ્યો સાથે શરુ થઇને હવે 30 સુધી વિસ્તૃત થનાર નાટો, માનવતા માટે સૌથી વધુ ફાયદાકારક પરિણામ છે.  શા માટે?

નાટોમાં જોડાતા સભ્યો શપથ લે છે કે “કોઈપણ એક સભ્ય રાષ્ટ્ર સામેના હુમલાને બધા સામે હુમલો માનવામાં આવે છે” અને બધા સભ્યો “એકમેકના સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ છે”. તેવા સામુહિક સરંક્ષણને લીધે સભ્ય રાષ્ટ્રોને પોતાના સ્વરક્ષણ માટે શસ્ત્રો એકઠા કરવા પડતા નથી. અને માનવતા માટે ઓછી સંખ્યામાં શસ્ત્રો અને ખાસ કરીને પરમાણુકૃત શસ્ત્રો દુનિયામાં રહે તેનાથી વિશેષ કોઈ વિશેષ ઘટના નથી. અને છતાં પર્યાવરણ માટે આપણે તેવું કોઈ જબ્બરજસ્ત સામુહિક કામ કરી શકીશું તો તે ફરી એક વિશેષ ઘટના બની રહેશે. તેથી શસ્ત્રોને બનાવવા, ખરીદવા, તેને સુરક્ષિત રાખવા, જૂના થઇ જાય ત્યારે તેમનું સમારકામ કરવું, જુના શસ્ત્રોને તોડીને નવા વસાવવા, આમ શસ્ત્રોની જાળવણી, સંગ્રહ, સમારકામ વગેરેમાંથી સભ્ય રાષ્ટ્રોને રાહત મળે છે. સભ્ય રાષ્ટ્રો આ રીતે શસ્ત્રો અને દારૂગોળાના ભંડારને ઘટાડી શકે છે, તેથી તેમના સંસાધનો શિક્ષણ જેવા વધુ માનવીય હેતુઓ માટે વાપરી શકાય છે. જો સભ્ય રાષ્ટ્રોએ નાટોની છત્રછાયા હેઠળ, રાહતની લાગણી અનુભવી ન હોત તો તે રાષ્ટ્રો તેઓ પરમાણુ શસ્ત્રો ઉત્પન્ન કરવામાં લાગેલ હોત. ઘણા વિદ્ધાનો માને છે કે જો નાટો ન હોત તો યુરોપ સંપૂર્ણ રીતે પરમાણુકૃત બની ગયું હોત. તેથી નાટો વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના વધુ નિર્માણ માટે અવરોધક બની રહ્યું છે.

નાટોના સભ્યોનો ઉદ્દેશ કટોકટી દરમિયાન એકસાથે ઊભા રહેવાનો અને કોઈપણ અને તમામ બાહ્ય જોખમોથી સ્વતંત્રતા અને લોકશાહીનું રક્ષણ કરવાનો છે. 2001 દરમિયાન જ્યારે અમેરિકા ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે નાટોના સભ્યો આ સંધિને કારણે અમેરિકન સરકારની પડખે ઉભા હતા. એ જ રીતે 1990 ના દાયકામાં બોસ્નિયા અને કોસોવોમાં ત્યાં થઈ રહેલા સંઘર્ષોને રોકવા માટે, નાટોના દળો ત્યાં ગયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને પગપેસારો કરતા અટકાવવા સાથે મળીને કામ કર્યું. નાટોના સભ્યો એ જ રીતે સાયબર ધમકીઓનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને હોર્ન ઑફ આફ્રિકાની આસપાસ ચાંચિયાગીરી થાય છે તેનો સાથે મળીને સામનો કરી રહ્યા છે. તે રીતે નાટો માત્ર લડાઇ સંબંધિત મુદ્દાઓ જ નહિ પરંતુ રેફયુજીસ ની મદદ, સાયબર ધમકીઓ, આતંકવાદીઓ ઉપર નજર રાખવામાં અને તેવા અન્ય વૈશ્વિક જોખમો સામે સાથે મળીને કામ કરે છે.

જો કોઈને આશ્ચર્ય થાય કે શા માટે આપણને એક સંસ્થાની જરૂર છે અને વિશ્વ શા માટે એકસાથે મળીને કેમ ન કરી શકે તો તે વાજબી પ્રશ્ન છે. નાટો હેઠળ સહકારનું નેટવર્ક એક માળખા હેઠળ તૈયાર હોય છે. સભ્ય રાષ્ટ્રને મદદ કરવા માટે, ક્ષણભરની સૂચના સાથે કાર્ય હાથ ધરી શકે છે, પછી તે યુદ્ધનો ખતરો હોય કે સાયબર ખતરો. આ માળખું હોવાને લીધે તુરંત જ એકત્રીકરણ અને પ્રતિસાદ આપવા માટે લોજિસ્ટિક્સ, સંકલન અને ખર્ચની વહેંચણીની ખાતરી સભ્યોને હોય છે. યુરોપિયન એટલાન્ટિક ક્ષેત્રમાં કોઈપણ દેશ નાટોમાં જોડાઈ શકે છે. સભ્ય રાષ્ટ્ર તેના જીડીપીના 2% પૈસા સામુહિક સંરક્ષણ માટે ફાળે તેવી અપેક્ષા છે. અને ક્યારેક તે તકરારનો મુદ્દો પણ બને છે કે દરેક રાષ્ટ્ર તેમના વાજબી હિસ્સાનું યોગદાન આપતા નથી અને અમેરિકા નાટો માટે મોટા ભાગનું યોગદાન આપે છે. ક્યારેક અમેરિકા નાટોના સભ્યો સમક્ષ તેમના ભાગનું યોગદાન આપવા માટે ફરિયાદ પણ કરે છે.  ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે નાટોને તોડી પાડવાની ધમકી આપી હતી. જો કે, અન્ય પ્રમુખોએ સમયાંતરે અવલોકન કર્યું છે કે નાટો એક ફાયદાકારક સંસ્થા છે. ક્યારેક અન્ય કેટલાક રાષ્ટ્રો તેમના જીડીપીના 2% કરતા પણ ઓછો ફાળો આપે છે કારણકે તેઓ સમૃદ્ધ નથી અને તેમની પાસે પુરા સંસાધનો નથી. અને છતાં સામુહિક સરંક્ષને કારણે તેમને સમય આવ્યે મદદ મળવાની ખાતરી છે. 

હા, હું સ્વીકારું છું કે રશિયાના વડાપ્રધાન પુટિન માટે નાટોનું વિસ્તરણ ચિંતાનું કારણ હોય શકે. પરંતુ નાટોને અને પુટિન ના વગર કારણે કરેલા આક્રમણ ને સમાન માપદંડથી ન માપી શકાય અને એક સમાન દોષિત ન ઠરાવી શકાય. બંનેના મૂળભૂત રીતે અલગ રહેલા સ્વભાવને આપણે સમજવા જોઈએ. પુટિન એક ફાશીવાદી છે અને તેણે અવારનવાર ઉશ્કેરણી વગરના હુમલાઓ કર્યા છે અને લાખો લોકોને માર્યા છે; અગાઉ જ્યોર્જિયા અને ક્રિમીઆમાં અને હવે યુક્રેનમાં. તે અરાજકતા દ્વારા વિકાસ કરવા અને યુ.એસ.એસ.આર.ના મોટા ભાગને શક્ય તેટલી વિશાળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા ઈચ્છે છે. પરંતુ નાટો એક એવી સંસ્થા છે જે સજીવ રીતે વધે છે અને વિશ્વમાં શસ્ત્રો અને ખાસ કરીને પરમાણુ શસ્ત્રો અસંખ્ય રીતે ન વધે અને છતાં રાષ્ટ્રોને સામુહિક સંરક્ષણ મળી રહે તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

આ બધું જાણ્યા પછી હવે તમે નાટોને આ ફાશીવાદી પુટિન જેટલા દોષિત માનશો?

,

Leave a comment

બુદ્ધિજીવી અને સંવેદનશીલ: Sense & Sensibility by Jane Austin – Review in #Gujarati


જેન ઓસ્ટીન નામની લેખિકાએ 18મી સદી ના ઇંગ્લેન્ડને લગતા ઘણા પુસ્તકો લખેલ છે. મોટા ભાગે તેના પુસ્તકો રોમેન્ટિક વિષયને લગતા પુસ્તકો છે. તાજેતરમાં તેણે લખેલ પુસ્તક સેન્સ એન્ડ સેન્સિબિલિટી ઉપર બનેલું નાટક જોયું તો તેના પુસ્તક ઉપર મારા વિચારો દર્શાવું છું. 

તે બે બહેનો ની વાર્તા છે. 18મી સદીના ઇંગ્લેન્ડ માં મિલકત માત્ર પુરુષ વરસદારોનેજ મળતી. જો કોઈ વ્યક્તિ ને દીકરો ન હોય તો તેના ગયા બાદ તેની મિલકત તેની પત્ની અથવા દીકરીની બદલે તેના નજીકના પુરુષ વારસદારને મળે. તેવી સ્થિતિમાં અચાનક સ્ત્રીઓ બેઘર બની જાય અને નાની યુવતીઓ યોગ્ય અને લાયક પાત્ર શોધવા લાગે. કેમકે તે સમાજ વ્યક્તિના વર્ગ, દરજ્જા અને ક્રમ ઉપર નિર્ભર હતો. આવી સ્થિતિ માં કોઈ યુવતીને તુરંત યોગ્ય પતિ ન મળે તો તેને ખુબ ગરીબીમાં, આજીવન કુંવારી અવસ્થામાં જિંદગી પસાર કરવી પડે તેવું પણ બને. 

સેન્સ એન્ડ સેન્સિબિલિટી એટલે કે બુદ્ધિમાન પ્રકૃતિ અને સંવેદનશીલ પ્રકૃતિ. આ વાર્તાના મુખ્ય પાત્રો બે બહેનો છે. પિતાના અવસાન પછી મેરિયન ડેશવુડ અને એલિનોર ડેશવૂડ ની જિંદગી અસ્તવ્યસ્ત થઇ ગઈ. બંને બહેનો અને તેમની માં રહેતા હતા તે ઘરમાં તેમના ભાઈ અને ભાભી રહેવા લાગ્યા અને તેમની ભાભીએ તેમના ભાઈને સમજાવ્યો કે બંને બહેનોને તેમના લાયક નાનું મકાન શોધી આપવું જોઈએ જેથી તેમને સામાન્ય સ્થિતિમાં રહેવાની આદત પડી જાય. તે સમયે ઇંગ્લેન્ડ માં આવી સ્થિતિ માં આવેલ સ્ત્રીઓને કોઈ સગાવહાલા પાસે નાનું મામૂલી કોટેજ હોય તો તેઓ તે બહેનો ને તેમાં રહેવાની વ્યવસ્થા કરી આપે. ડેશવૂડના કોઈ સગા એ તેવું મકાન રહેવા માટે ઓફર કર્યું અને તેમની ભાભીએ તેમના ભાઈને સમજાવ્યો કે તે તેની બહેનો અને માં ને તેમાં રહેવા જવા માટે સમજાવે. ભાઈના કહેવાથી તેઓ તેવા મામૂલી મકાન માં દૂર રહેવા ચાલ્યા ગયા. તેમના સગાઓ અને તેમની માં તેમના માટે યોગ્ય પતિ શોધવા લાગ્યા.

મેરિયન ડેશવુડ સંવેદનશીલ, લાગણીશીલ પ્રકૃતિ ધરાવે છે, તે સ્વયંસ્ફુરિત છે, પ્રેમ માં જેટલી ઝડપી છે તેટલીજ તેના વિલાપમાં ઉતાવળ છે; તેને ઋતુઓનું પરિવર્તન, પ્રકૃતિમાં આનંદ અને સૂકા વિખરાયેલા પાંદડાઓમાં કવિતા દેખાય છે; તે ખુબ રોમેન્ટિક પ્રકૃતિ ધરાવે છે, પૂરા દિલથી પ્રેમ કરે છે, નિખાલસતાથી ખળભળાટ હસે છે અને નાટકીય રીતે વારંવાર રડી પડે છે. મારુ માનવું છે કે તેના જેવી સ્ત્રીઓ ઘણીવાર સમાજમાં જરૂરી ફેરફારો પાછળનું બળ હોય છે. જ્યારે મિલકત તેના ભાઈને આપવામાં આવે છે, ત્યારે તે તુરંત તેની બહેનને પૂછે છે, “શા માટે? શું તે એક કર્તવ્યનિષ્ઠ પુત્ર છે તેથી કે તે લાયક છે એટલા માટે? જો કે તે બેમાંથી કંઈ નથી.”

મેરિયનની બહેન એલિનોર ડેશવુડ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં ધીમી ગતિ ધરાવે છે અને વિચારશીલ છે, તેની ટિપ્પણીમાં પણ વિનય, વિવેક, નમ્રતા અને વિચારશીલતા છે, તે પોતાના વિચારોમાં સંયમિત છે; તે સરંજામ અને ઔચિત્યની વાત કરે છે; અને તે હંમેશા વસ્તુઓને અન્યના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરે છે અને પોતાને તકલીફ વેઠવી પડે છતાં અન્યની સંવેદના નો ખ્યાલ રાખે છે. મારુ માનવું છે કે તેના જેવી સ્ત્રીઓ, ઘણી વખત સમાજમાં વ્યવસ્થા જાળવવામાં અને અરાજકતાને રોકવામાં નિમિત્ત બને છે. માત્ર પોતાની લાગણીશીલતા ઉપર સંયમ અને ધીરજ જાળવીને જ નહિ પરંતુ અન્ય વ્યક્તિઓને પણ તે સલાહ આપે છે અને જીવનમાં આવતા વંટોળને શાંતિ અને સંયમથી સામનો કરતા શીખવે છે. આ વાર્તામાં મેરિયન તેની માનો આધાર બની જાય છે. લાગણીશીલતા ઉપર કાબુ જાળવવાનું તે તેની બહેન મેરિયનને પણ સમજાવે છે. મેરિયન એક વાર કહે છે, “મારી બહેન આશા રાખે છે કે તે મને મારા પોતાના અતિરેકથી બચાવે”.

મેરિયન વિલોબી નામના યુવાનના પ્રેમમાં પડે છે. વિલોબી પણ તેના જેવોજ સંવેદનશીલ યુવાન છે અને થોડાજ સમયમાં તેઓ સાનભાન ભૂલી ને પ્રેમમાં બંધાઈને એક બીજા પ્રત્યે વચનબદ્ધ થઇ જાય છે. પરંતુ થોડા સમય બાદ વિલોબી અચાનક પલાયન થઇ જાય છે. તે સમયે ઇંગ્લેન્ડ માં જો કોઈ યુવતી કોઈ પ્રેમી જોડે વચનબદ્ધ હોય અને પ્રેમી તેને છોડી ને ચાલ્યો જાય તો ઘણીવાર બીજા કોઈજ યુવાન તેની જોડે લગ્ન કરવા આગળ ન આવે તેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. બીજી બાજુ એલિનોર ને એડવર્ડ નામના શરમાળ યુવાન પ્રત્યે લાગણી છે. એડવર્ડ ને પણ એલિનોર તરફ ખુબ લાગણી છે. પરંતુ બંને ધીમી ગતિ ધરાવતા પ્રેમી પંખીડા મનોમન પ્રેમ કરવા છતાં એકમેક સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરીજ નથી શકતા અને એડવર્ડ ના લગ્ન બીજે થવાની વાતચીત ચાલે છે. 

તે દરમ્યાન કર્નલ બ્રાન્ડન નામના જવાન ડેશવૂડ કુટુંબ ની મદદે આવે છે અને મેરિયન માટે વિલોબીનો પત્તો લગાવે છે. વિલોબી આખરે બહેન એલિનોર પાસે શોક વ્યક્ત કરે છે કે તેમની આર્થિક સ્થિતિ માં તે મેરિયન જોડે પરણી શકે નહિ અને તેથી તેણે પલાયન થઇ અને પોતાને યોગ્ય પત્ની જોડે લગ્ન કરી લીધા છે. મેરિયન આ સમાચાર સાંભળતા બેહોશ બની જાય છે અને પછી તે બીમાર પડે છે. કર્નલ બ્રાન્ડન આ સમયે પણ તેમની ખુબ મદદ કરે છે. આખરે બીમારીમાંથી સાજી થતા મેરિયનને પ્રેમનો સાચો અર્થ સમજાય છે અને એ પણ સમજાય છે કે ધીમો પ્રેમ ક્યારેક ખુબ ગહન હોય છે અને તે અને કર્નલ બ્રાન્ડન લગ્ન કરે છે. આ બાજુ આખરે એડવર્ડ હિમ્મત ભેગી કરીને એલિનોર પાસે તેનો પ્રેમ વ્યક્ત કરે છે અને એલિનોર પોતાની લાગણીઓને વાચા આપે છે અને બંને લગ્ન કરે છે. 

લેખિકા ઓસ્ટીન ની વાર્તામાં એ તો જરૂર સમજાય છે કે કોઈ એક તરફ અતિરેક યોગ્ય નથી. માત્ર બુદ્ધિજીવી જીવન જીવી ન શકાય અને સમય અનુસાર લાગણીઓને પણ વાચા આપવી અને દર્શાવવી જરૂરી છે. તેમજ અતિ સંવેદનશીલ પ્રકૃતિ યોગ્ય નથી અને લાગણીઓ ઉપર સંયમ રાખવો જરૂરી છે. પરંતુ અનેક વાર ટિપ્પણીકારો ને ઓસ્ટીન ની વાર્તાઓ માં તેવું લાગે છે કે ઓસ્ટીનનો પક્ષપાત બુદ્ધિજીવી પ્રકૃતિ તરફ વધારે છે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. 

, ,

Leave a comment

Gangubai Review in Gujarati: ગંગુબાઈ કાઠિયાવાડી ચલચિત્રની સમીક્ષા


 હુસૈન ઝૈદી ના પુસ્તક માફિયા ક્વિન્સ ના એક પ્રકરણ ઉપર બનેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈના કમાટીપુરા વિસ્તારમાં વસેલી ગંગુબાઈ કોઠેવાલી અથવા ત્યાર પહેલા ગંગા હરજીવનદાસ ના નામે કાઠિયાવાડમાં જન્મેલી બાઈની જીવનકથા ઉપર આધારિત છે. આ ફિલ્મ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી અને તાજેતરમાં તે થિએટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર છે સંજય લીલા ભણસાલી અને જયંતીલાલ ગદ્દા અને તેના ડિરેક્ટર  છે સંજય લીલા ભણસાલી. 

ગંગા હરજીવનદાસ નો જન્મ સાન 1938માં કાઠિયાવાડ માં થયેલ અને ત્યાર બાદ આશરે 16 વર્ષની ઉંમરે તે રમણીક નામના છોકરાના પ્રેમમાં પડી. કુટુંબની મરજી તેમના વિરુદ્ધ રમણીક અને ગંગાએ મંદિરમાં લગ્ન કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. 16 વર્ષની પ્રેમમાં ઘેલી ગંગા મોટા શહેરની જાહોજલાલી વચ્ચે પોતાનું ઘર વસાવવાના સપના સેવતી રમણીક જોડે મુંબઈ આવી ત્યાર બાદ રમણીક તેને શીલા નામની યુવતીને ત્યાં કમાટીપુરા લઇ આવ્યો. તેણે “આ મારી માસી છે” કહીને ગંગાની ઓળખાણ કરાવી અને ત્યાં ગંગાને બે દિવસ રહેવાનું કહીને તે ચાલ્યો ગયો. અને ત્યારે ગંગાના જીવનનો માર્ગ બદલાઈ ગયો. માત્ર રૂપિયા 500માં લલચાઈને રમણીકે ગંગાને વૈશ્યાવૃત્તિના માર્ગે ધકેલી દીધી હતી. ખુબ માર સહન કર્યા બાદ ગંગાની સમાજમાં આવ્યું કે હવે તેને આ માર્ગ અપનાવ્યા સિવાય છૂટકો નહોતો. 

ગંગા આખરે ગંગુબાઈ બની અને સમય વીતતા તે એક શક્તિશાળી મહિલા અને મોટા વેશ્યાલયની માલિક બની. એવા સમયે જ્યારે નારીવાદનો ક્યાંય ઉલ્લેખ પણ નહોતો થતો ત્યારે ગંગુબાઈ વૈશ્યાવૃત્તિના માર્ગે ધકેલવામાં આવતી મહિલાઓ માટે શક્તિનો આધારસ્થંભ બની અને તેણીએ વૈશ્યાઓ સમાજ માં માથું ઊંચું રાખીને જીવી શકે અને તેમના વ્યવસાયને કાયદેસર બનાવવામાં આવે તેમજ તેમના બાળકોને સમાનતા માટે તકો અને ભણવાની સુવિધા મળે તે માટે ચળવળ શરુ કરી.  આલિયા ભટ્ટે આ ફિલ્મ માં ખુબજ સુંદર અભિનય કર્યો છે. બાયોપિકમાં અભિનય કરતી વખતે, અભિનેત્રી પાત્રના જીવનમાં બનેલી ઘટનાઓની વાર્તાથી પરિચિત તો હોય છે. પરંતુ તે પાત્ર જિંદગીમાં વિકસે ત્યારે તેની લાગણીઓ, ભાવનાઓ ને ધ્યાન માં રાખી તેને જીવંત સ્વરૂપ આપીને તે પાત્રને વિકસાવવું જટિલ કાર્ય છે અને આલિયા એ તે ખુબ સુંદર રીતે કર્યું છે. 

ગંગુબાઈ ખુબજ શક્તિશાળી વક્તા હતા અને તેમના એક એક અર્થસભર વાક્યને આલિયાએ યાદગાર રીતે વાચા આપી છે. 

સ્થાનિક ચૂંટણીઓમાં તેની સ્પર્ધકને પડકારતી વખતે, પોતાની સંભવિત જીત વિશે કોઈ શંકા વિના, ગંગુબાઈ કહે છે, “ज़मीन पे बैठी बहोत अच्छी लग रही है तू, आदत दालले, क्यों की तेरी कुर्सी तो गयी”.

તેની નીચે કામ કરતી વૈશ્યા છોકરીઓને ઉશ્કેરતી વખતે તે કહે છે, “इज्जत से जीनेका, किसीसे डरनेका नहीं, ना पोलिस से, ना मंत्री से, ना MLA से, ना भड़वो से, किसी के बाप से नहीं डरने का”.

ભણસાલીએ કહ્યું હતું કે કપરા સમયમાં ખુબજ કપરી પરિસ્થિતિમાંથી પોતાનો રસ્તો કરીને બીજી સ્ત્રીઓમાટે રસ્તો કાઢતી આ મહિલા ની પોતાના હક અને ગૌરવ માટેની લડાઈએ મને આ કહાની સજીવન કરવા માટે આકર્ષિત કર્યો”. પણ ત્યાર બાદ તેમનો પડકાર તેમના કલાકારોમાંથી તે વાત સજીવન કરવા માટેનો હતો. ભણસાલી કેવા જબરજસ્ત અને તેજસ્વી દિગ્દર્શક છે તેનો ખ્યાલ આપણને તુરંત આવી જાય છે. દરેક ઘટના અને દ્રશ્ય ભાવનાત્મક અને દૃષ્ટિની રીતે સમૃદ્ધ અને અર્થપૂર્ણ છે. જ્યારે ગંગુબાઈને તેમના પ્રેમીને  મળે છે, ત્યારે તે પહેલા શંકાસ્પદ રહે છે અને તેનો પ્રેમી તેની સીમાઓનું સન્માન કરે છે કે નહિ તે જાણવા માટે તેની કસોટી કરે છે. અને પછી અચાનક ગંગુબાઈ તેના પ્રેમીના ખભા પર માથું ઢાળે છે અને તે ક્ષણે પુરુષો પ્રત્યે શંકા અને વિશ્વાસઘાતનો ભાર જે તેણીએ તેના ખભા ઉપર વર્ષોથી વહન કર્યો હતો તે ઓગળી જાય છે. તેમજ આલિયા નું ગરબા નૃત્ય ગંગુબાઈને તેના કાઠીયાવાડી મૂળ સાથે તેમજ તેના વર્તમાન સાથે જોડે છે જાણે કે ગંગુબાઈમાં સાક્ષાત દેવી અંબામા પધાર્યા હોય.  હુમા કુરેશીનો આઇટમ નંબર પણ લાજવાબ છે. અંડરવર્લ્ડ ડોન તરીકે અજય દેવગણ અને વેશ્યાલય મેડમ તરીકે સીમા પાહવા ખુબ સુંદર અભિનય આપે છે. આ ચલચિત્ર ને યાદગાર બનાવવાનો જશ તો આલિયા ભટ્ટ ના ઉત્કૃષ્ટ અભિનયને જ જાય છે અને ચલચિત્રના અંતમાં તે જે અદ્ભુત અને શાનદાર છટા થી ભાષણ આપે છે તેમાં ગંગુબાઈના શક્તિશાળી શબ્દોની સામગ્રી સાથે આલિયા ભટ્ટની  સર્જનાત્મકતા નો સમન્વય પરિપૂર્ણ થાય છે. 

શાનદાર છટા સાથે ગંગુબાઈ કહે છે “लिख देना कल के अखबारमे, के आज़ाद मैदानमे भासन देते वख्त, गंगूबाईने आँखे झुकाकर नहीं, आँखे मिलाकर हक़ की बात की है भाई”.

વાહ ગંગુબાઈ, વાહ આલિયા ભટ્ટ, વાહ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી – શું આલીશાન, યાદગાર ફિલ્મ બની છે – જોવનું ચુકતા નહિ!!

, , ,

Leave a comment

એબઅલેઉઉ! #Gujarati ફિલ્મ સમીક્ષા – Eeb Allay Ooo! Bollywood Movie Review


એબ અલે ઉઉ! – ફિલ્મ સમીક્ષા – બોલિવૂડ મૂવી રિવ્યુ

તેની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ “ઇબ અલે ઉઉ!” માં પ્રતિક વાટસ એક વિચિત્ર વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આમ જનતાના અનુભવ ની બહારનો વિષય છે. હા ખળભળાટ મચાવતા વાંદરાઓ જોડે ભારતના ખૂણે ખૂણે લોકોને પનારો પડ્યોજ હશે. આ ચલચિત્રમાં ભારતની રાજધાની દિલ્હીમાં વાંદરાઓની જબરજસ્ત હાજરીએ કેવી સમસ્યા ઉભી કરી છે અને ગવેર્નમેન્ટ વાંદરાઓને કાબુમાં રાખવા માટે અને મનુષ્યથી દૂર રાખવા માટે કેવા નુસખા કરે છે તે જોવા મળે છે. આ વાંદરાઓ માણસોની કરતૂતો દ્વારા જ ભ્રષ્ટ થયા છે. મહાભારતમાં, આદરણીય વાનર હનુમાનજી રામને મદદ કરે છે અને ત્યારથી હિંદુઓમાં તે દેવ તરીકે પૂજાય છે. માણસો વાનરોને ખાવાનું આપે છે અને તેથી વાંદરાઓ વધુ હિંમતવાન બને છે અને ભૂખ્યા થાય ત્યારે ખોરાક માટે જંગલોમાં ખાવાનું શોધવાની બદલે શહેરોમાં પધારે છે અને ક્યારેક મનુષ્ય ઉપર હુમલો પણ કરે છે.

Monkeys and Lutyens' Delhi were perfect backdrop for satire: Eeb Allay Ooo!  director Prateek Vats | Entertainment News,The Indian Express

ચલચિત્રમાં ભારતમાં પ્રચલિત અંધ ધાર્મિકતા ઉપર વ્યંગાત્મક ટિપ્પણી કરી છે. પ્રાચીન માન્યતાઓ અને રિવાજોની પ્રથામાં, લોકો ઘણીવાર આ ધાર્મિક વિધિઓની  સમાજ પર થતી બુરી અસરને ભૂલી જાય છે. તાજેતરમાં ની જ વાત છે. જાન્યુઆરી, 2022 માં, જ્યારે એક વાંદરો ઠંડીથી મૃત્યુ પામ્યો, ત્યારે 1500 લોકોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપી અને પ્રાર્થના અને મંત્રોચ્ચાર કર્યા અને કેટલાક માણસોએ મૃત પૂર્વજ પ્રત્યે આદરભાવમાં તેમના માથા પણ મુંડ્યા હતા.

આ ફિલ્મનું કેન્દ્ર છે મૉટે ભાગે આપણા લોકોની ધ્યાન બહાર હોય તેવો વ્યવસાય – રાજધાની દિલ્લીમાં વાંદરાઓને શહેરમાંથી ભગાડવા માટે તેમનો પીછો કરવાનો અને જાત જાતના અવાજ કરવાના. નાયક અંજની (શાર્દુલ ભારદ્વાજ) નોકરીની શોધમાં દિલ્લી તેની બહેન ને ત્યાં આવે છે અને તેના બનેવી તેને વાંદરા ભગાડવાની નોકરી ઉપર લગાવે છે. અંજની શહેરની હદથી દૂર તેની બહેન, બનેવી સાથે એક નાની ઝૂંપડીમાં રહે છે. જ્યારે તે વાંદરાઓનો પીછો કરીને તેમને ભગાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે લોકોને વાંદરાઓને ખવડાવતા જુએ છે અને અંજનીને આ હાસ્યાસ્પદ નોકરીની અને પોતાના  નિરર્થક પ્રયત્નોની વાહિયાતતા સમજાય જાય છે. આ વાનરો લોકોથી ડરતા નથી અને ઉલ્ટા તેમને ભગાડનારાઓ તરફ આક્રમક બની જાય છે. બીજી તરફ તેમને ભગાડનારાઓ વાનરોને ડરાવે તો લોકો પણ ઉલ્ટા આ કર્મચારીઓની ઉપર ખીજાય છે. 

ગરીબ અને ધનવાન લોકો ના જીવન વચ્ચેનો કરુણ તફાવત પણ આ ચલચિત્રમાં તરી આવે છે. ગરીબ કર્મચારીઓ શહેરની બહાર ગીચ ઝૂંપડપટ્ટીમાં રહે છે જ્યારે શ્રીમંત લોકો વૈભવી ઠાઠ થી શહેરમાં રહે છે. ગરીબ લોકો તેમની જીવનશૈલી વચ્ચેના વિરોધાભાસથી પુરા વાકેફ હોય છે, જયારે શ્રીમંત લોકો તેમની ઠાઠમાઠવાળી જિંદગી થી દૂર રહેતા લોકોની અસલી જિંદગી ની વાસ્તવિકતાથી તદ્દન અજાણ હોય છે. આ ગરીબ કામદારોને તેમના ઉપરી અધિકારીઓ ક્યારેક એવી જવાબદારીઓ સોંપે છે કે તેમના સંજોગોમાં તે નિભાવીજ ન શકાય. દાખલા તરીકે, અંજનીનો સાળો સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને તેને રાઈફલ આપવામાં આવે છે. બલ્કે તેની નોકરીમાં તેને રાઇફલ ની કોઈજ જરૂર નથી. છતાં તેને તે રાઇફલને સંતુલિત કરીને મુશ્કેલીથી તેની સાયકલ ઉપર ઘરે લઇ જવી અને ફરી કામ ઉપર લાવવી પડે છે. તેની ઝૂંપડીમાં સુવિધાઓનો અભાવ હોવા છતાં તેને રાઇફલને સુરક્ષિત રીતે સાચવીને રાખવી પડે છે. 

આ ઉત્કૃષ્ટ ઓછા બજેટની ફિલ્મ માં ભારદ્વાજ માસ્ટરફુલ પર્ફોર્મન્સ આપે છે અને પ્રેક્ષકોને જોવા મળે છે કે તેની પરિસ્થિતિમાં જીવનનો શું અર્થ થાય છે. આ ફિલ્મમાં, સ્થળાંતરિત કામદારને અસ્પષ્ટતામાંથી બહાર લાવીને તેને એક વ્યક્તિત્વ અને ઓળખ આપવાનો બહાદુર પ્રયાસ છે. 

, , ,

Leave a comment

ટેક્નોલોજી દ્વારા થતા દુષ્કર્મો ને બુલીબાઈ એપ ને પડકારતું કાવ્ય: #Gujarati #poem against #BullibaiApp


આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે શારીરિક પીડા ની સરખામણીમાં ટેક્નોલોજી દ્વારા થતું નુકશાન અને પીડા તદ્દન મામૂલી છે. વધુ ને વધુ ટેક્નોલોજીના દુરુપયોગથી વ્યક્તિઓને ખુબ નુકશાન પહોંચે છે. ટેક્નોલોજી દ્વારા આર્થિક રીતે લોકોને કેવું નુકશાન કરી શકાય છે તે તો આપણે જાણીએ જ છીએ અને સંસ્થાઓએ તે માટે પગલાં પણ લીધા છે. પરંતુ ટેક્નોલોજી ના દુરુપયોગથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને ઓળખ ઉપર સખત છાંટા ઉડાડીને તેને ખુબ હામી પંહોંચાડવામાં આવે છે તે પ્રત્યે આપણે તેટલું ધ્યાન આપ્યું નથી. અને ખાસ કરીને ભારત જેવા પિતૃસત્તાક સમાજ માં સ્ત્રીની પ્રતિષ્ઠા ની અસર તેની પુરી જિંદગી ઉપર થઇ શકે છે ત્યારે સ્ત્રીઓ ઘણી વાર તેવા દુરુપયોગ નું લક્ષ્ય બને છે.  ડિજિટલ માહિતી એક વાર ઈન્ટરનેટ ઉપર મુકાય જાય તો તે હંમેશ માટે ક્યાંક ને ક્યાંક તો રહીજ જાય છે. તેથી ડિજિટલ માહિતીની સ્થાયીતા ને કારણે તે વ્યક્તિ ના પુરા જીવનમાં તે એક લટકતી તલવાર બનીને રહી જાય છે. ઘણીવાર કોઈ સ્ત્રી હિંસાત્મક સબંધ માંથી બહાર નીકળવાની કોશિશ કરે ત્યારે પણ પુરુષો તેને રોકવા માટે કે ત્યાર બાદ બ્લેકમેઇલ કરવા માટે ડિજિટલ ગેરુપયોગથી સાચી કે ખોટી હકીકત ઉપજાવીને સ્ત્રીને મહાત કરવાની કોશિશ કરે છે. મને તેનો અંગત અનુભવ છે.  

woman's hand holding smartphone and using grab application for car sharing service Chiang Mai, Thailand - November 18, 2017: unidentified woman holding smartphone and using grab application for car sharing service in local cafe in Chiang Mai, Thailand on November 18, 2017. grab application offers ride-hailing and logistics services. Reaching Stock Photo

તાજેતરમાં ભારત માં બુલીબાઈ એપ દ્વારા મુસલમાન મહિલાઓની બેઇજ્જતી કરવાનો અત્યંત દુઃખદ પ્રયાસ થયો. તેમાં મુસ્લિમ મહિલા કાર્યકર્તાઓ, પત્રકારો, રાજકારણીઓ, અભિનેતાઓ અને એન્જિનિયરોને નિશાન બનાવવામાં આવ્યા. આ મહિલાઓના ચહેરા પોર્નોગ્રાફિક બોડી સાથે જોડી દેવામાં આવ્યા હતા અને તેમની નકલી હરાજી સર્જવામાં આવી હતી. રાજકારણી મહિલાઓને પણ આવા કરતૂતનો અવારનવાર સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે બધા તેની વિરુદ્ધ નહિ બોલીએ અને તેનો ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યક્ત નહિ કરીએ ત્યાં સુધી આ બદલાશે નહીં અને આવતા વર્ષોમાં આપણી દીકરીઓને આવીજ કરતૂતોનો સામનો કરવાનો રહેશે. મારા જીવનનો આ અંગત અનુભવ છે અને તેને આધારે કહીશ કે ગમે તેવી ચોખ્ખી પ્રતિષ્ઠા કોઈ સ્ત્રી ધરાવતી હોય, અને કોઈ પણ સ્ત્રી હોય તે આવી કરતૂતનો ભોગ બની શકે છે. 

જયારે દિલ્લી માં નિર્ભયા નામે ઓળખાઈ ગયેલી એક યુવતી ઉપર 6 પુરુષો દ્વારા બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું http://bit.ly/WyY4zf . તેવું બીજું કાવ્ય બુલીબાઈ એપ ની ઘટના બની ત્યારે લખ્યું છે તે નીચે રજુ કરું છું.

મારા ભાઈઓ અને બહેનો ને અનુરોધ 

મારા ભાઈઓ, હંમેશા તમારી સુરક્ષા ઇચ્છુ છું
તમારા કાંડે રાખડી બાંધતા તમારી રક્ષા પ્રાર્થું છું
આજે મારા ચરિત્ર ને પ્રતિષ્ઠા ઉપર છાંટા ઉડે છે
ત્યારે તમારા આધારની અપેક્ષા રાખું છું.   

સ્થિતિસ્થાપકતા ને ઉત્સાહ મારી ચાલ માં છે 
મોકળા મને જીવવાનો મોકળો રાહ માંગુ છું
મારા સોઉન્દર્યની ચર્ચા તમે ખુબ કરો છો 
આજે મારા ચરિત્રનો બચાવ ઈચ્છું છું   

એક દિવસ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરશે  
મારી તમારી દીકરીઓ ની વાત કરું છું
ઇતિહાસના પાના ઉથલાવશે ત્યારે કૃતજ્ઞતા 
તમારા પ્રતિ પણ વ્યક્ત કરે તેમ ઈચ્છું છું  

પ્રિય બહેનો, આપણી લડાઈ દુષ્કર્મ સામે છે 
આજે તમારા સાથ માટે હાથ લાંબો કરું છું  
નફરત ને કટ્ટરતા સામેની લડાઈમાં, કોઈ જાતિ 
ધર્મ દરજ્જો કે વર્ગ વિભાજીત ન કરે તે ઈચ્છું છું  

હો ભલે મુસ્લિમ ખ્રિસ્તી શીખ કે હિન્દુ. છતાં પુરૂષો 
યુદ્ધ આદરે ત્યારે પ્રથમ લક્ષ્ય તમે અને હું છું 
અહીં કે ઇથોપિયામાં, લાઇબેરિયા, બોસ્નિયા, 
ચાઈના કે ઇરાક કે રવાન્ડામાં. તે માત્ર કહું છું.

ચાલો સાથે મળીને આગળ માર્ગ મોકળો કરીએ
તેથી આપણી દીકરીઓ સુરક્ષિત રહે તે ઈચ્છું છું 
શેરીઓમાં ફરતા કે ઑનલાઇન સર્ફિંગ કરતા 
કે બસની સવારી માં તેમની સલામતી પ્રાર્થું છું  

નરસંહાર ને નફરત ભૂતકાળની ઘટના છે લોકો કહેશે
દેશની મહિલાઓએ એકમેકને ટેકો આપ્યો શું
કેમકે જ્યારે એક સ્ત્રી સ્ત્રીને ટેકો આપે છે, તે બચાવે છે 
દેશો, સમુદાયો, પુરુષો ને બાળકોને, તે હું જાણું છું

, , , ,

2 Comments

ચંદીગઢ કરે આશિકી- બોલિવૂડ ચલચિત્રની સમીક્ષા


હિન્દી બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ હવે વધુને વધુ બિનપરંપરાગત વિષયો ઉપર લક્ષ્ય આપે છે અને તે પણ વ્યાખ્યાન આપ્યા વગર અને ખૂબ જ સંવેદનશીલતા દ્વારા આ નવી પ્રકાર ના ચલચિત્રો પડદા ઉપર રજુ કરે છે. અને આ કોઈ નાની સિદ્ધિ નથી જો આપણે એ નજરમાં રાખીએ તો કે બોલિવૂડ માં દાયકાઓ સુધી ચલચિત્રો અભિનેતા, અભિનેત્રી અને ખલનાયકની રેસિપી દ્વારા બનતા. 

Missed watching Chandigarh Kare Aashiqui in theatres? Here's how you can  watch it online | Entertainment News,The Indian Express

આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની “ચંદીગઢ કરે આશિકી” હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ચલચિત્રમાં, મનુ (આયુષ્માન ખુરાના) એક બોડીબિલ્ડર અને ફિટનેસ ટ્રેનર તરીકે, પુરૂષવાચી વ્યવસાયમાં છે. માનવી બ્રાર (વાણી કપૂર) ઝુમ્બા પ્રશિક્ષક તરીકે જીમમાં જોડાય છે. મનુ અને માનવી વચ્ચે તુરંત પ્રેમ સબંધ ઘડાય છે. ફિલ્મ કેટલાક દ્રશ્યોમાંથી પસાર થાય છે અને એવું લાગે છે કે આ બંને વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી છે. મનુ અને માનવીને લાગે છે કે તેમને સાચા અર્થમાં તેમના જીવનસાથી મળી ગયા છે.

મનુના પરિવાર ના સભ્યો રાહ જોઈ રહ્યા હતા કે મનુ યોગ્ય છોકરી શોધી ને જીવન શરુ કરે અને  આખરે તેને એક સુંદર જીવનસાથી મળી ગઈ હોય તેમ લાગે છે. દરમિયાન, મનુના પિતા (ગિરીશ ધમીજા) એક મુસ્લિમ મહિલા સાથે પ્રેમ સંબંધમાં છે. પિતા પોતાના સંબંધના સમાચાર આખા પરિવાર સમક્ષ જાહેર કરી સકતા નથી કેમકે તેમને લાગે છે કે તે પરિવાર માટે અસ્વીકાર્ય હશે. બીજી તરફ માનવી, તેના પિતા (કનવલજીત સિંઘ)ની ખૂબ જ નજીક છે અને તેઓ તેને બેટા અને બેટી તરીકે સંબોધે છે. માનવી અને તેની માતા (સતવંત કૌર) વચ્ચે થોડું અંતર પડી ગયેલ છે.

સામાન્ય કૌટુંબિક ફરિયાદો વચ્ચે, એક નવો મુદ્દો તરી આવે છે. એક એવો મુદ્દો જેની ઉપર સામાન્ય રીતે કોઈ લક્ષ્ય આપવામાં આવતું નથી તેમજ સદીઓથી આપણા સમાજમાં થી તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. જેમ જેમ મુદ્દો સપાટી પર આવે છે તેમ, ફિલ્મ પ્રેક્ષકોને એક પ્રશ્ન સામે ઝઝૂમવા માટે પ્રેરિત કરે છે – કે વ્યક્તિગત રીતે અને પ્રેમ સંબંધમાં શું સામાન્ય છે શું અસામાન્ય છે અને કોણ તે નક્કી કરે છે. 

બોલીવુડ અને નિર્માતાઓને ધન્યવાદ કે તેઓ આવી સમસ્યાઓ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા લાગ્યા છે.  દિગ્દર્શક અભિષેક કપૂરને પણ અભિનંદન કે તેમણે આ ગંભીર મુદ્દાને હળવાશથી અને સાથે સાથે ગંભીરતાથી અને કળથી પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કર્યો છે.  આ ચલચિત્ર ઉપર તમારા પ્રતિભાવ જરૂર જણાવશો.

Leave a comment

Gujarati: Discussion with Poet Vinodbhai Joshi: વિનોદભાઈ જોશી સાથે વાતચીત 


જિગીષાબેન અને પ્રજ્ઞાબેને કવિશ્રી વિનોદ જોશી જોડે સુંદર વાતચીત કરી, સુંદર સવાલ જવાબ કર્યા  અને તેમની કૃતિઓને વધાવી તેનું લિંક છે https://www.youtube.com/watch?v=Yb_aFiyghB0 . સુંદર સરસ્વતી પ્રાર્થના જેમાં કવિ માત્ર કાગળનો એક ખૂણો અને અક્ષરના અજવાળા માંગે છે તેનાથી થી કાર્યક્રમની શરૂઆત થઇ.  ભાષાના માધ્યમ ની પણ સીમા છે તે વિચાર એક માત્ર કવિ કે લેખક નું હૃદય જ કરી શકે. વિનોદભાઇએ સમજાવ્યું કે લેખક અથવા કવિએ તે પ્રયત્ન કરવાનો રહે છે કે ભાષા ને એ સ્વરૂપે વ્યક્ત કરવી કે તે શબ્દો દ્વારા તેમાંની વેદના કે હર્ષ બીજાના હૃદય સુધી પહોંચી શકે. તે વિશેના તેમના મનોમંથન નું તેમણે સુંદર આલેખન કર્યું. માનવી એકમેકથી દૂર વસતા હોય છતાં પણ ભાવ ઘણીવાર સમાન હોય છે અને જે વસ્તુ થી હર્ષ અથવા પીડા અનુભવે છે તે ઘણીવાર એક સમાન હોય છે. સર્જક જો એ ભાવ ને પકડી અને વ્યક્ત કરી શકે તો તે સનાતન તત્વ દરેક સાંભળનારાઓને સ્પર્શે છે. 

વિનોદભાઇએ જે વાત મહાભારતમાં વ્યક્ત નથી થયેલી તેને કેવી રીતે તેમણે તેમની રચનામાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે તે વિષે વાત કરી. દ્રૌપદીને જે બોજ વેઠવામાં આવ્યો છે તે બોજ ને તેમણે બીજા કોઈ પાત્ર ના આધાર વગર એક સ્ત્રીના વ્યક્તિત્વને આધારે તેમની રચનામાં વ્યક્ત કર્યો છે. તેમની રચના ઉપર ઘણા નાટ્ય પ્રયોગ પણ થઇ ચુક્યા છે અને ગુજરાતીમાંથી બીજી ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થઇ ચુક્યા છે. જિગીષાબેને સરસ સવાલ કર્યો કે તે લખાણ ને કેવી રીતે અને ક્યારે ગોઠવામાં આવે તો તે ગાઈ શકાય તેમ લયબદ્ધ બને છે? કવિશ્રીએ સરસ રીતે સમજાવ્યું કે માત્ર વાક્યોમાં જ નહિ પણ દરેક શબ્દ માં પણ શક્તિ છે અને દરેક શબ્દ ની પસંદગી પણ મહત્વની છે. દરેક શબ્દમાં તેનું પોતાનું સંગીત છે. બોલવામાં પણ વ્યક્તિ લય બદલે છે અને તે રીતે તેમાં સાંભળનારનો રસ જાળવી રાખી શકે છે. સંગીત માં તાલ કૃત્રિમ છે, તે સુબદ્ધ છે. તાલ એ ટાઈમ મેનેજમેન્ટ નું કામ કરે છે. પરંતુ લય નૈસર્ગીક છે. લય અનિયંત્રિત છે; અનિયમિત છે. તેથીજ લય ની સમજ માત્ર તાલીમ લેવાથી નહિ પરંતુ નાનપણમાં ખુબ સંગીત સાંભળવાથી કેળવાય છે.

વિનોદભાઇએ તેમની સુંદર રચના હૈયાને દરબાર વિષે વાત કરી. તે રચના નીચે મુકેલી છે. તેમણે એ રીતે લય મૂકીને તે રચના દર્શાવી છે કે સીધી સાંભળનારના દિલને સ્પર્શી જાય છે.

હૈયાને દરબાર

આપી આપીને તમે પીંછું આપો સજન !
પાંખો આપો તો અમે આવીએ …

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લાગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો સજન !
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?


આપી આપીને તમે આંસું આપો સજન !
આંખો આપો તો અમે આવીએ ….

અમુક રચના તેઓ એ ગાતા ગાતા લખી છે અને લોકગીતો જોડે પણ તેમનું અનોખું બંધાણ છે તે તેમની રચના “હે જી મારુ ભણતર ભુલાવો મારા સાયબા, કાઢો મુને ઉછીની બારાખડીની બહાર રે” માં દેખાય છે. તેમણે ઢોર ચારવાનું અને ખેતીનું કામ પણ કરેલું છે અને કદાચ તેથીજ તેમની રચનાઓ, તીક્ષ્ણ દ્રષ્ટિ અને અનોખા શબ્દોના સહારે, આપણા દિલ ને ભાવવિભોર કરી નાખે છે.

જિગીષાબેને સુંદર પ્રશ્ન કર્યો કે એક સર્જક પોતાના સર્જન થી ક્યારે સંતુષ્ટ થાય છે? જોશી સાહેબે સમજાવ્યું કે ભાવ થી વધારે વ્યક્તિ પાસે કાંઈ  નથી. પણ તેજ ભાવ ને શબ્દ માં વ્યક્ત કરવામાં આવે ત્યારે તે ભાવ સીમિત થઇ જાય છે અને સર્જક ને ક્યારેય પૂર્ણ સ્વરૂપે સંતુષ્ટિ મળતી નથી. તેમણે કહ્યું કે, હું રચના લખું ત્યારે મારી ઈચ્છા હોય છે કે મારો શબ્દ એવી પીડા કે એવો આનદં લઈને આવે કે મારા ભાવજ વાંચનારા કે સાંભળનાર સુધી પહોંચે, ભલે કદાચ શબ્દો તેને યાદ પણ ન રહે. શબ્દ નું કામ છે એક ટપાલીનું, ભાવ ને વાચક ના દિલ સુધી પહોંચાડવાનું અને હું તે ભાવ ને વ્યક્ત કરવાની મથામણ માં રાચું છું.

પ્રજ્ઞાબેને સુંદર નોંધ કરી કે જોશી સાહેબ તેમના શબ્દોને વહેતા મૂકી દ્યે છે પણ કોપી રાઈટ વગેરે કરીને અધિકાર જમાવતા નથી. કવિશ્રીએ સુંદર રીતે સમજાવ્યું કે, હું ભાષા લઈને જન્મ્યો નથી. હું હલનચલન અને ધ્વનિ લઈને જન્મ્યો છું. હું ધ્વનિ ને સંગીત દ્વારા વિકસાવી શકું કે હલનચલન ને નૃત્ય માં વિકસાવી શકું તે જ પૂરતું છે.  તેમણે કહ્યું કે ભાષા મારુ કર્મ નથી. એ દેશ જ્યાં કાલિદાસ અને ટાગોર આવ્યા છે, તેમાં વિનોદભાઇ જોશી જેવા ઉચ્ચ સ્તરના કવિઓ અને લેખકો સાહિત્યિક પ્રવૃતિઓ દ્વારા ચાર ચાંદ લગાવે છે પરંતુ કોપીરાઈટ નો આગ્રહ રાખતા નથી તે પણ ભાષાપ્રેમીઓના નશીબ છે. જિગીષાબેને પ્રશ્ન કર્યો કે ક્યારેક તેઓ એવા અઘરા અથવા ખુબ વપરાશમાં ન હોય તેવા શબ્દો વાપરે છે તો સાથે ફૂટનોટ આપવી જરૂરી ગણાય? કવિશ્રીએ સમજાવ્યું કે શરૂઆતમાં દરેક શબ્દ માત્ર ધ્વનિ જ છે. નવી ભાષામાં નવા શબ્દો સાંભળીએ ત્યારે તે પણ માત્ર ધ્વનિ જ હોય છે. અને છતાં ક્યાં અને ક્યારે દર્શાવાય તેના આધારે અજાણતા શબ્દો પણ ભાવની પ્રતીતિ કરાવી દેતા હોય છે. તો શબ્દોને હંમેશા સમજાય તેવા  અર્થના સંદર્ભમાં જ મુકવા તેવું જરૂરી નથી. શબ્દ ન સમજાય તો પણ ભાવ સ્પર્શી જાય તો કવિ કર્મ પૂરું થયું. આપણે તો જાણીએ છીએ કે ક્યારેક સુંદર ગઝલ સાંભળીએ ત્યારે કોઈક શબ્દોનો અર્થ ન જાણતા હોવા છતાં મર્મ સમજાય જાય છે અને તે ગઝલ આપણા હૃદય ને સ્પર્શી જાય છે. ઉપરાંત કવિશ્રીએ તે પણ સમજાવ્યું કે આપણે હંમેશા એક ભાષા બોલતા હોઈએ ત્યારે તે ભાષાની જે પરિચિતતા કેળવાય જાય છે, તે કોઠે પડી જાય છે.  પણ જયારે કોઈક ઓછા વપરાતા, અનોખા શબ્દોને આધારે ભાવ વ્યક્ત કરીએ તો તે સાંભળનારાઓના હૃદય ને અનોખી રીતે સ્પર્શી જાય છે. તેના ઉદાહરણ રૂપે તેમણે નીચેની જાણીતી રચના નો ઉલ્લેખ કર્યો તે નીચે મૂકીને વિરુમુ છું. 

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ  રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

, , , , , ,

Leave a comment

પ્રેમચંદ મુન્શી ની વાર્તા નિર્મલા ની સમીક્ષા – #Gujarati & English Review of Premchand Munshi’s Nirmala


પ્રેમચંદ મુન્શી ની વાર્તા “નિર્મલા” ધારાવાહી ની સમીક્ષા

Munshi Premchand: a prolific Indian writer – EDUpub

પ્રેમચંદ મુન્શી હિન્દી સાહિત્યના ખુબ મોટા અને જાણીતા સાહિત્યકાર રહ્યા છે. તેઓ એક નિષ્ણાત અને વિશેષજ્ઞ વાર્તાકાર છે અને તેમની વાર્તાઓ ધારાવાહી સ્વરૂપે યૂટ્યૂબ માં જોઈ શકાય છે. વાર્તામાં બોધ હોય તે બાળકોને ગમે પણ મોટાઓને તેવી વાર્તાઓ પસંદ ન પડે. પરંતુ મુન્શીજી એ પ્રકાર ના વાર્તાકાર છે કે તેમની વાર્તામાં બોધ હોય પરંતુ તેઓ ક્યારેય તે બોધ ને સમજાવતા નથી. વાંચનાર પોતાની મેળે અને પોતાની સમજ પ્રમાણે પુરેપુરો બોધ તારવે કે થોડો તારવે કે જરાય નહિ તે વાંચનાર ઉપર છે.

નિર્મલા કરીને તેમની વાર્તા છે જેમાં એક 45 જેટલી ઉંમરના વિધુર એક નાની 17વર્ષ જેવડી કન્યા જોડે વિવાહ કરે છે અને આર્થિક મુશ્કેલી માં પડેલી મા તે વિવાહ કબુલ કરે છે. આ સાન 1925માં લખાયેલ આ વાર્તામાં તેમની સુધારાવાદી કાર્યસૂચિ દેખાય છે. લગ્ન કરનાર વિધુર ના 5, 8 અને 15 વર્ષ જેવડા ત્રણ છોકરા છે. નિર્મલા વિધુર જોડે ખુબ વિનયથી વાત કરે છે પણ તેમનાથી અળગી રહે છે. ત્રણ છોકરાઓની તે ખુબજ સંભાળ રાખે છે અને ત્રણેય છોકરાઓ તેને મા કહીને સંબોધે છે. છોકરાઓ જોડે નિર્મલા નો સબંધ ઔપચારિક નથી અને સરખી ઉમર ને કારણે તેઓ એકબીજા જોડે ચર્ચા અને મસ્તી મજાક કરે છે અને 15 વર્ષના છોકરા પાસે નિર્મલા અંગ્રેજી શીખે છે. પોતાના 15 વર્ષના છોકરાને નિર્મલા સાથે જોઈને વિધુરને ઈર્ષા આવે છે અને તે છોકરાને હોસ્ટેલ માં મોકલે દ્યે છે જ્યાં પૌષ્ટિક આહાર ન મળવાથી અને બીમારીમાં બરોબર સારવાર ન મળવાને કારણે છોકરો જીવન મરણ વચ્ચે જોલા ખાય છે. ત્યારે વિધુર નિર્મલા ને આજીજી કરે છે કે તું છોકરાની જોડે કૈક વાત કર અને હોસ્પિટલ ના કાર્યકર્તાઓને કહે છે કે આ તેની મા છે. વિધુર ના એ બે વાક્યમાં કરુણા વહે છે અને વાચકો તારવી શકે છે કે વિધુર છોકરો ગુમાવવાની અણી ઉપર આવ્યા છે અને તેમને પોતાની ભૂલો સમજાય છે.

1920 થી 1940 ના સમય દરમ્યાન ભારતીય સમાજ માં સુધારાવાદી પરિવર્તન ની જરૂર હતી તે મુન્શીજી ની વાર્તાઓ માં દેખાય છે. બોધ આપ્યા વગર, સામાજિક માન્યતાઓ, ધોરણો અને સામાજિક વાતોને મુન્શીજી એ પ્રમાણે રસિક રીતે રજુ કરે છે કે તેમની વાર્તાઓ આજે પણ વાચકોને પસંદ આવે છે. તેમની વાર્તાઓમાં ગામડાઓના ઠાકુરો અને બ્રાહ્મણ પંડિતો દ્વારા થતું ગરીબ ખેડૂતો અને કામદારોનું શોષણ, અસ્પ્રુશ્યોની સાથે થતો અન્યાય અને ઉતરતી ગણાતી સ્ત્રીઓની સાથે થતી કરુણ ઘટનાઓ જોવા મળે છે.

Short English Synopsis Of Premchand Munshi’s Nirmala on Youtube

Premchand Munshi has been an incredible and excellent storyteller. He wrote in Hindi, during 1920s to 1940s time frame. In his stories, Munshi shined a light on subjugation and plight of women, exploitation of poor farmers and daily wage workers by wealthy landowners and learned Brahmins and holy men in the villages and inequities and abuse suffered by the untouchables.

In his short story, Nirmala which is available on Youtube, Munshi shines a light on plight of women. About 16 or so years old poor girl is married off to a widower of her father’s age. Widower has three boys, ages 5, 8 and 15. Nirmala is very respectful towards her husband but she is uncomfortable with intimacy, is formal with him and maintains some distance. She takes very good care of the three boys and they are also respectful towards her and address her as a mother. However, being of similar age, the boys are also close to her and joke with her and she is also trying to learn English from 15 year old. When the father sees his own son with his young wife, in jealous rage, he sends his son away to a hostel. Due to non-nutritious food and illness, son falls ill and is on the verge of dying. At that time, the widower requests Nirmala to talk to the son in the hope that maybe he may respond to her and he explains to the hospital personnel that Nirmala is their mother. In two simple sentences at the end, uttered with distress and shame, one can see the regret that the father is feeling due to his various mistakes, when he is on the verge of losing his beloved elder son.

, , , ,

1 Comment

Gujarati Poem: દ્રષ્ટિ વિસ્તૃત કરીએ – Let’s expand our vision


જાવેદ જાફરીના હિન્દી માં લખેલ કાવ્ય નો મેં ગુજરાતી માં અનુવાદ કર્યો છે. તેમાં થોડા શબ્દો બદલ્યા છે અને તે કાવ્યને અહીં પ્રસ્તુત કરું છું.

three young friends of different religions Three young girls standing happily together in the corner hindu muslim stock pictures, royalty-free photos & images

નફરત ની અસર જુઓ,જાનવરો વેચાય ગયા
ગાય હિન્દૂ અને બકરા મુસલમાન મનાય ગયા

ક્યારે તેમનો થશે બટવારો, ચિંતિત છે પંખીઓ
ઝાડ પાન ને શાખાઓ મૂંઝવણ માં મુકાય ગયા

સૂકા મેવા ની વહેંચણી માં નાળિયેર હિન્દૂ
ને ખજૂર મુસલમાન ના કહેવાય ગયા

રંગ માં યે જુદાઈ આવી, ધર્મની વિભાજીત માં
લાલ હિન્દૂ નો ને લીલા રંગ મુસલમાન ગણાય ગયા

માનો કે લીલા શાકભાજી હવે મુસલમાનના થશે
હિંદુના ઘરે ગાજર, ટામેટા ના થેલા મુકાય ગયા

પણ સમસ્યા મોટી ઉભી રહી તરબુચની
વિધવાનો માથા ખંજવાળતા રહી ગયા

બિચારું ઉપરથી છે મુસલમાન, અંદર થી હિન્દૂ
આ વિભાજન માં એવા કૈંક નિર્દોષો ખપાય ગયા

આ કાવ્ય ને આસ્વાદ ની તો જરૂર નથી. પણ આ કાવ્ય નો અંત બોલતા મને એ કહેવું છે કે એક વ્યક્તિની આઇડેન્ટિટી એટલે ઓળખ માત્ર તેના ધર્મ માં નથી. તે વ્યક્તિ કોઈની માં છે, બહેન છે, પત્ની છે, તેને હિન્દી ચલચિત્રો પસંદ છે, ગાવાની શોખીન છે, રસોઈ મસ્ત બનાવે છે, કેરમ રમવાનો શોખ ધરાવે છે ને વ્યવસાયે વકીલ છે. આમ લોકો કેટલા જટિલ હોય છે. ક્યારેક ઘૃણા અને ભેદભાવ માં રંગાઈને તેમની ઓળખ અને જટિલતા ને એક નાના એવા બોક્સ માં બેસાડીએ છીએ ત્યારે એ પણ ભૂલી જઈએ છીએ કે એજ વ્યક્તિ આપણી પાડોશણ, સખી, પિક્ચર જોવામાં સહભાગી અને પ્રેમથી જમાડવામાં પાવરધી હતી. અને અત્યારે તેવો અત્યાચાર ઇથિયોપિયા માં (જ્યાં મેં મારુ બાળપણ વિતાવ્યું) ત્યાં થઇ રહ્યો છે જ્યાં હજારોની સંખ્યા માં નાની યુવતીઓ અને બાળકીઓ બળાત્કાર અને જાતીય હિંસાનો ભોગ બની રહી છે. ટીગ્રી જાતિની વ્યક્તિઓ ઉપર આ અત્યાચાર થઇ રહ્યો છે. મેં એ આશા સાથે આ કાવ્ય અને તેનો અંત લખ્યો છે કે આપણે વ્યક્તિઓની ઓળખ આઇડેન્ટિટી ને કોઈ એક ખ્યાલ માં સંકોચીને જોવાની બદલે તેમને એક પૂર્ણ વ્યક્તિ તરીકે જોઈને મૈત્રીભાવ કેળવી શકીશું.

, , ,

Leave a comment

%d bloggers like this: